પશુઓ બિનકાયદેસર ચરાવી રહ્યાં છો, તમારા ઢાળીયા જેસીબીથી સાફ કરી નાખીશુ એમ કહી ધમકી આપી
રજૂઆત કરવા વન વિભાગની કચેરીમાં ગયા તો ત્યાં કોઈએ ન સાંભળતા ઝેરી દવા પી લીધી
વિસાવદર પંથકના જાંબુથાળા નેસમાં વસવાટ કરતા બે માલધારીએ વનવિભાગના ત્રાસ થી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ તો આ બંનેને સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મેંદરડા ડેડકડી રેન્જમાં જાંબુથાળા સેટલમેન્ટનું ગામ છે અહીં વનવિભાગ દ્રારા ગ્રામજનોને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગામના ફિરોજભાઈએ જણાવ્યું હતું કે વનવિભાગે કહ્યું હતું કે તમારૂૂ બધું અહીં બિનકાયદેસર છે અને પશુઓ પણ બિનકાયદેસર ચરાવી રહ્યાં છો અને કાલે સાંજ સુધીમાં તમારા માલઢોરને તમારી માલિકી વાળા વિસ્તારમાં લઈ લેજો નહિતર તમારા ઢાંળીયા ઉપાડી જે.સી.બી થી સાફ કરી નાખીશું.
જેથી આગેવાનોને બોલાવી વનવિભાગના અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા જો કે તેમને કહ્યું હતું કે જે તો હમતદારો છે તેમને મોકલો મારે તેમની સાથે વાત કરવી છે.જોંકે અંતે રજૂઆત કોઈએ ન સાંભળતા હનીફ બ્લોચ અને સલીમ બ્લોચે કચેરીમાં જ દવા ગટગટાવી લીધી હતી.
અત્રે નોંધનીય એ છે કે, છેલ્લા ઘણા સમયથી સેટલમેન્ટના અમુક ગામોમાં વનવિભાગનાં આકરા નિયમોનાં કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેથી આ તમામ પ્રશ્નોનો વહેલીતકે હલ કરવામાં આવે એવી માંગ પણ આ વિસ્તારનાં લોકોમાંથી ઉઠવા પામી છે. સામતભાઈ ગઢવી રહે.રાજપરા વાળાએ જણાવ્યું હતું કે મને ફોન આવ્યો જે અહીં વનવિભાગ દ્રારા અમને હેરાન કરવામાં આવે છે જેથી હું અહી આવ્યો અને અમે બધા રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ રજૂઆત સાંભળવામાં ન આવી હોય જેથી બનાવ બન્યો છે જેમના માટે જવાબદાર અધિકારીઓ જ છે. આ અંગે ફિરોજભાઈએ કહ્યું હતું કે અમે અહીં 100 વર્ષથી વસવાટ કરીએ છીએ અમારા જન્મ તારીખના દાખલા, આધારકાર્ડ, ચૂંટ ણીકાર્ડ બધું જ છે અમારા બાપ-દાદાએ મસવાડીના પાસ પણ કઢાવ્યા હતા પણ વારસા એન્ટ્રી થઈ નથી અને અમને વનવિભાગ દ્રારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે.જેથી ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગણી કરી હતી.
આ બાબતે વિસાવદર પ્રાંત અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે તે મારી પાસે રજૂઆત કરવા આવેલ હતા અને એ બાબતે મેં કહેલ કે આ મેંદરડા રેન્જની વાત છે જેથી તે અધિકારી સાથે વાત કરી યોગ્ય માહિતી મેળવી યોગ્ય કાર્યવાહી કરીશ તેમ જણાવ્યું હતું.
