જાણીતા ગાયક જીગ્નેશ બારોટના પિતા હસમુખ બારોટે તેમના વતન સ્થિત ઘર આગળ સ્કૂટરને સમાધિ આપી હતી. તેમણે કહ્યું, મને સ્કૂટર જીવથી પણ વધારે વ્હાલું હતું. સ્કૂટર છેલ્લા કેટલાક સમયથી બંધ હતું અને તેને કાટ લાગી જાય ને બગડી જાય એને બદલે સમાધિ આપી દેવી સારી.
આ ઉપરાંત તેમણે કહ્યું, સ્કૂટર પર અમે આટલાં વર્ષો સુધી સવારી કરી. સ્કૂટરે અમને સુખ-શાંતિ આપી અને અમારી પાસે કંઈ જ નહોતું અને પછી શૂન્યમાંથી સર્જન થયું તે માત્ર આ સ્કૂટરને આભારી છે. મા-બાપ ઘરડાં થાય તો તેને કંઈ આપણે ઘરડાઘરમાં મૂકી આવતાં નથી. જે સ્કૂટરને આટલાં વર્ષો સુધી વાપર્યું હોય તેને કંઈ ભંગારમાં થોડું આપી દેવાય? એટલે જ સમાધિ આપી.
જીગ્નેશ બારોટે કહ્યું સ્કૂટરને નિર્જીવ વસ્તુ નહોતા માનતા, પરંતુ અમારા માટે તે ભગવાન છે. અમે છેલ્લા કેટલાય સમયથી સ્કૂટર ચલાવતા નહોતા એટલે સ્વિચ ને સ્ટિયરિંગ ને બધું બરોબર ચાલતું નહોતું એટલે અમે આ સ્કટૂર કોઈને આપી શકવાની સ્થિતિમાં નહોતા. અમારા ઘર આગળ આવેલા મંદિરમાં મહારાજ છે તો સમાધિ આપ્યા બાદ સ્કૂટરની પણ રોજ પૂજા થાય ને રોજ દીવાબત્તી થાય, ભજન થાય ને સંતોના આશીર્વાદ મળે તે માટે સમાધિ આપી. અમે સમાધિની બાજુમાં આવેલી જગ્યાએ હોલ પણ બનાવવાના છીએ.નવેમ્બર 2024માં અમરેલીના પાડરશિંગાના સંજય પોલરાએ કાર પ્રત્યેના પ્રેમને લઈ કારને સમાધી આપી હતી. સંતો-મહંતોની હાજરીમાં કાર માલિકે કારની યાદ રાખવા માટે સમાધી આપી હતી.
આ અંગે કાર માલિકે જણાવ્યું કે, વર્ષ 2013-14થી આ કાર અમારી સાથે છે. અમારા પરિવારના સારા અને નરસા દરેક પ્રસંગમાં આ કાર અમારી સાથે રહી હતી. આ કાર આવ્યા બાદ જ અમારી પ્રગતિ થઈ હતી. જેથી કારનું વેચાણ કરવાને બદલે અમે અમારા ખેતરમાં 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કારને સમાધી આપવાનો નિર્ણય લીધો હતો.
