હેડ કોચ ગૌતમ ગંભીરને ટકોર કરી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી રમવા મળશે એવી ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ તાજેતરમાં જ નિવૃત્તિ લઈ લેનાર ભૂતપૂર્વ કેપ્ટન અને ભરોસાપાત્ર બેટ્સમેન અજિંક્ય રહાણેએ હેડ-કોચ ગૌતમ ગંભીરના વડપણ હેઠળના ટીમ મેનેજમેન્ટને એક પોડકાસ્ટ પરની મુલાકાત મારફત અરજ કરી છે કે ‘ટેસ્ટ ક્રિકેટમાં ભારતને ગૌરવના દિવસો પાછા અપાવવા માટે તમે ટેસ્ટ ટીમ માટે સિનિયર ટેસ્ટ ખેલાડીઓની ગણતરી કરો અને એ રીતે તેમનું માન જાળવો એ જરૂૂરી છે.’ ગૌતમ ગંભીરના કોચિંગમાં વાઇટ-બોલ ફોર્મેટની (વન-ડે તથા ટી-20ની) દ્વિપક્ષી શ્રેણી તેમ જ ટૂર્નામેન્ટોમાં ભારતીય ટીમનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે, પરંતુ તેના જ કોચિંગમાં લાંબા ગાળાના ફોર્મેટમાં (ટેસ્ટ ક્રિકેટમાં) ભારતીય ટીમે જે ખરાબ પર્ફોર્મ કર્યું છે એવું અગાઉ કોઈએ ધાર્યું પણ નહીં હોય.
આ વિષયમાં રહાણેનું માનવું છે કે ‘ટેસ્ટ ટીમમાં સિનિયર ખેલાડીઓની બહુ ઓછી હાજરી છે એટલે જ આપણે ટેસ્ટમાં સારું નથી રમી શકતા. ટેસ્ટમાં સંગીન પરિણામ લાવવા ટીમમાં સાતથી આઠ સિનિયર ખેલાડીઓ અને બે-ત્રણ યુવાન ટેલન્ટેડ પ્લેયર્સ હોવા જરૂૂરી છે. રોહિત, વિરાટ અને અશ્વિને અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, જ્યારે પુજારા તથા રહાણેએ લાંબા સમયથી અવગણના થતાં છેવટે રિટાયરમેન્ટ લઈ લીધું છે. પરિવર્તન તો ક્રિકેટનો નિયમ છે અને દરેક ટીમ માટે એ તબક્કો આવે જ છે, પણ એ પરિવર્તન કેવી રીતે આવે છે અને ટીમ મેનેજમેન્ટ એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે એ સૌથી મહત્ત્વની વાત છે.
