નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો (આગાહી) નક્કી કરતા હોય છે. 21મી સદીના આ ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાંને આધારે જ વરસાદનું અનુમાન લગાવીને ખેતીની શરૂૂઆત કરે છે.
આજના ડિજિટલ, કમ્પ્યુટર અને ટેક્નોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડાં પરથી કરાતા વરસાદના વરતારા પર અતૂટ વિશ્વાસ રાખે છે.
રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ જે ચાર ઈંડાં મૂક્યા છે, તેમાં ત્રણ ઊભાં અને એક આડું છે. આ સ્થિતિ પરથી એવો વરતારો નીકળે છે કે આ વર્ષે ચોમાસાના ત્રણ મહિના ખૂબ સારા રહેશે, જ્યારે એક મહિનો વરસાદ નબળો રહેશે. જો કે, આ જૂની લોકમાન્યતા છે, પરંતુ કેટલીકવાર આ વરતારો જોગાનુજોગ સાચો સાબિત થતો આવ્યો છે.
