ઘેડ વિસ્તાર માટે ગયા બજેટમાં રાજય સરકારે રૂા.1500 કરોડની સહાય જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ સાત મહીનાનો સમય વિતવા છતા ફકત 139 કરોડના કામોને જ મંજુરી આપવામાં આવી છે. બાકી સહાયની રકમના કામો ઝડપી પુર્ણ કરવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
ઘેડ વિસ્તારના ત્રણ જિલ્લાના નાગરિકો તેમજ ખેડૂતોને પુષ્કળ મુશ્કેલી વેઠવી પડે છે તે બાબત કોંગ્રેસ દ્વારા વારંવાર ઉજાગર કરવામાં આવેલ છે. આ વાત રાજ્ય સરકાર પણ સ્વીકારે છે તેનો અહેસાસ 2025-26ના વર્ષના બજેટમાં ઘેડ વિસ્તારની વિવિધ મુશ્કેલીઓ નિવારવા ₹1,500 કરોડ જેટલી જોગવાઈ કરવામાં આવી હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું. આ જાહેરાતના લગભગ સાત મહિના જેટલો સમય વીતવા છતાં પણ જમીન ઉપર કોઈ અસરકારક કામગીરી શરૂૂ થઈ નથી. હજુ સુધી માત્ર 139 કરોડ રૂૂપિયાના કામોને મંજૂરી અપાઈ છે જેમાંથી ફક્ત અને ફક્ત 31 કરોડના કામો માટે ટેન્ડર બહાર પડ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા જોતા અગ્રતાના ક્રમે ઘેડ વિસ્તાર માટેની યોજનાઓ અમલમાં મુકાય અને નવું બજેટ આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછું તેના ટેન્ડર બહાર પાડી એજન્સી નક્કી કરી દેવામાં આવે તેટલું પણ થશે તો સરકાર આ મુદ્દે ગંભીર છે એમ ગણાશે. તેમના લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ વિસ્તારના સાંસદ અને હાલમાં કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રશ્નોને ઉકેલવા માટેની જાહેરાતો કરી હતી એટલું જ નહીં પણ ત્રણ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી ઘેડ વિસ્તારના પ્રશ્નો ઉકેલવા તેઓ પ્રતિબદ્ધ છે એવા વિધાનો પણ કર્યા હતા. મંત્રીએ કરેલી વાતો ખાલી જાહેરાતો જ પુરવાર થઈ છે ત્યારે આપ આ દિશામાં સત્વરે ઉચિત કાર્યવાહી કરાવશો તેની અપેક્ષા રાખું છું.
