મુંજાવરો વિસ્ફોટકો રાખતા હતા, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની ધારદાર દલીલો, આજે પણ સુનાવણી
બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને એમાં હાઇકોર્ટે અગાઉ સ્ટેટસ ક્વો(યથાવત સ્થિતિ) જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. સોમવારે આ કેસની સુનાવણીમાં સરકાર તરફથી મુખ્ય સરકારી વકલી જી.એચ. વિર્કે આ સ્ટેટસ ક્વો દૂર કરવાની દલીલ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે સરકારી તપાસમાં બહાર આવ્યું છે કે આ વિવાદીત બાંધકામોનો ઉપયોગ ડ્રગ ટ્રાફિકિંગમાં થતો હતો. એટલું જ નહીં દરગાહના મુજાવર દ્વારા વિસ્ફોટકો અહીં રખાતા હતા. બીજી તરફ અરજદાર પક્ષે જવાબ રજૂ કરવા મુદત માગતા કેસની સુનાવણી આજરોજ મુકરર કરાઈ છે.
આ મામલે રાજ્ય સરકાર તરફથી એવી ધારદાર દલીલ કરવામાં આવી હતી કે અરજદારો વિરૂૂદ્ધ એવા મટિરિયલ મળ્યા છે કે તેમણે રિટ પિટિશનમાં મિસરિપ્રેઝન્ટેશન કર્યું છે અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ મામલે અરજદારોના જે બાંધકામોને નહીં તોડવા માટેનો સ્ટેટસ ક્વોનો આદેશ નામદાર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર તરફથી અમે એવો દાવો કરીએ છીએ કે અમને તપાસમાં મળી આવ્યું છે કે જે વિવાદીત બાંધકામો છે એનો ઉપયોગ ડ્રગ ટ્રાફિકિંગ(ડ્રગ્સની હેરાફેરી) માટે કરવામાં આવતો હતો. અહીં બોમ્બ બ્લાસ્ટ પણ થયો હતો અને દરગાહના મુજાવર વિસ્ફોટકો રાખતાં હોવાનું પણ સામે આવ્યું હતું.
તેથી સરકારને આ કેસમાં અરજન્સી છે અને સ્ટેટસ ક્વો દૂર કરવામાં આવે એવી માગ છે.
સરકાર તરફથી એવી દલીલ પણ કરવામાં આવી હતી કે,આ વિવાદીત સંપત્તિઓ વકફની છે જ નહીં. બે અરજીઓમાં તો જમીન કબ્રસ્તાનની છે. ત્યારે સરકાર દ્વારા સેટેલાઇટ ઇમેજીસ લેવામાં આવી છે અને એમાં એવું સામે આવ્યું છે કે કબ્રસ્તાનની જમીન પર દબાણકર્તાઓએ વિશાળ બાંધકામો ખડકી દીધા છે. કબ્રસ્તાનની જમીન ઉપર આવા બાંધકામો કઇ રીતે શક્ય છે.