દાનમાંથી કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફીશીયલ ઈન્ટેલિજન્સની સ્થાપના કરવામાં આવશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ સંસ્થામાં ’કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સ્થાપવા માટે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને રંજન ટંડન સાથે સમજૂતી કરાર કર્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે 29 જાન્યુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમેરિકાથી વર્ચ્યુઅલી એમ્બેસેડર વિનય ક્વાત્રાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ અત્યાધુનિક સ્કૂલની સ્થાપના IIMA ના 1975 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેમના પતિ રંજન ટંડન દ્વારા આપવામાં આવેલા 100 કરોડ રૂૂપિયાના ઉદાર અનુદાન દ્વારા કરવામાં આવશે. આ પહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃસંસ્થાને પરત આપવાની એક ઉત્તમ પરંપરાને મજબૂત કરે છે. ચંદ્રિકા ટંડન એક પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર પણ છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ MoU વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વૈશ્વિક AI સુપરપાવર બનાવવાના મક્કમ પગલાંનું પ્રતિબિંબ છે. આ સંસ્થા ભારતની AI ક્ષમતાઓને વધારવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું લોકશાહીકરણ કરવા અને વૈશ્વિક અઈં અર્થતંત્રમાં નવી રોજગારીની તકો ઊભી કરવામાં મદદરૂૂપ થશે.
ભારતની કોઈ મેનેજમેન્ટ સંસ્થામાં કાર્યરત હોય તેવી આ પ્રકારની પ્રથમ AI સ્કૂલ હશે, જે ટેકનોલોજી, મેનેજમેન્ટ અને જાહેર પ્રભાવના સંગમ પર કાર્ય કરશે. સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે, ડેટા અને AI વ્યવસાયોની વિચારવાની અને નિર્ણય લેવાની રીતને બદલી રહ્યા છે, ત્યારે આ સ્કૂલ ભવિષ્યના વ્યૂહાત્મક નેતાઓ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ સ્કૂલ વિશ્વ કક્ષાની ફેકલ્ટી, ઉદ્યોગ જગતના નેતાઓ અને નીતિ નિર્ધારકોને એક મંચ પર લાવશે. તેનું મુખ્ય ધ્યાન આધુનિક AI સંશોધનોને વાસ્તવિક દુનિયાના સામાજિક અને સંસ્થાકીય પડકારો ઉકેલવા માટે ઉપયોગી સાધનો અને ફ્રેમવર્કમાં પરિવર્તિત કરવા પર રહેશે. ચંદ્રિકા ટંડને આશા વ્યક્ત કરી હતી કે આ સંસ્થા નવી પેઢીના સ્વપ્નદ્રષ્ટા નેતાઓને તાલીમ આપશે અને ભારતની વિશિષ્ટ જરૂૂરિયાતોને ઉકેલવામાં મદદ કરશે.
