વઢવાણ તાલુકાના નગરા ગામે એક 24 વર્ષીય યુવાન પરિણીતાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ સાસરિયાંઓએ પોલીસ તંત્રને અંધારામાં રાખી, પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ ઉતાવળે અંતિમવિધિ કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ મૃતકના પિતાને પુત્રીના મોત સામે ગંભીર શંકાઓ ઉપસતાં તેમણે જોરાવરનગર પોલીસ મથકે લેખિત અરજી આપીને બનાવની તપાસ કરવાની માંગ કરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સાયલા તાલુકાના ચડિયાળી ગામે રહેતા પ્રભુભાઈ લઘરાભાઈ વસવેલીયાની 24 વર્ષની દીકરી કાજલના લગ્ન દોઢ વર્ષ પહેલાં વઢવાણ તાલુકાના નગરા ગામે રહેતા નિકુલ નભુભાઈ પરાલીયા સાથે થયા હતા. ગત મંગળવારે 15 સપ્ટેમ્બર પ્રભુભાઈની મોટી દીકરીના સસરાએ ફોન કરીને જાણ કરી હતી કે કાજલને કંઈક થઈ ગયું છે અને તે બોલતી નથી. પ્રભુભાઈ પહોંચતા જ કાજલની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી.
જમાઈએ કહ્યું કે, કાજલ ઘરની નાટ સાથે સાડી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી. તે સમયે સાસરિયાઓએ તૈયારીઓ કરી લીધી હોવાથી પિયરીયાઓની હાજરીમાં જ કાજલબેનના અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
નગરાના આ શંકાસ્પદ મોતના બનાવમાં દીકરીના પિતા પ્રભુભાઈને કાજલના મોતની ખબર તેમની મોટી દીકરીના સસરાએ આપી હતી. જમાઈ નિકુલે પ્રભુભાઈને આ સમાચાર પહેલા કેમ નહોતા આપ્યા…? તે સવાલ તપાસ માંગતો હોવાનું મનાય છે. ઉપરાંત કાજલના સાસરિયાઓએ શંકાસ્પદ આપઘાતના કેસમાં પોલીસને જાણ કેમ ન કરી? પોસ્ટમોર્ટમ કેમ નથી કરાવ્યું? તે સવાલો પણ મહત્વના બને છે.
