ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હસુભાઈ દવે યાદીમાં જણાવેલ છે કે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ કેઈસ આવેલ હતો કે, સગર્ભા/માતૃત્વ લાભો – સરોગેટ માતાઓ માટે સોશિયલ સિક્યોરિટી કોડ, 2020ના મંજૂર નીતિ-નિયમો હેઠળ, શું સરોગેટ માતાઓ માતૃત્વ લાભો મેળવવા માટે હકદાર છે ?
રાજસ્થાન હાઈકોર્ટે શ્રીમતી ચંદા કેસવાની વિ. રાજસ્થાન રાજ્ય, S.B. CWP No. 7853/2020 (Raj HC)ના કેસમાં મેટરનિટી બેનિફિટસ એકટના સંદર્ભમાં આ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય સોશિયલ સિક્યોરિટી કોડને પણ સમાન રીતે લાગુ પડશે કારણ કે બંનેની જોગવાઈઓ એકસમાન છે.
વધુમાં નામદાર રાજસ્થાન હાઈકોર્ટે જણાવેલ હતું કે, એક સ્ત્રી માત્ર બાળકને જન્મ આપીને જ નહીં, પરંતુ બાળક દત્તક લઈને પણ માતા બની શકે છે, અને હવે તબીબી વિજ્ઞાનના વિકાસ સાથે સરોગસી પણ સ્ત્રી અથવા દંપતી માટે તેમનું બાળક મેળવવાનો એક વિકલ્પ છે. માતૃત્વ લાભો આપવા સંબંધિત જોગવાઈ એ લાભદાયી જોગવાઈ છે, જેનો હેતુ સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાનો છે અને તેથી, તેનો લાભદાયી રીતે અર્થઘટન થવો જોઈએ.
સરોગસી પ્રક્રિયા દ્વારા બાળક પ્રાપ્ત કરનાર માતાને માતૃત્વ રજા આપવાનો ઈનકાર કરવો તદ્દન અયોગ્ય ગણાશે. તેથી, બાળક દત્તક લેનાર માતા અને સરોગેટ માતાના ગર્ભાશયમાં ઈચ્છિત માતાપિતાના ઈંડા અથવા શુક્રાણુનો ઉપયોગ કરીને બનાવેલ ભ્રુણ રોપ્યા પછી સરોગસી પ્રક્રિયા દ્વારા બાળક મેળવનાર માતા વચ્ચે કોઈ ભેદભાવ હોઈ શકે નહીં.
