મેચ ફીમાં કટોતી સહિતની કાર્યવાહી થશે
દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-અ અને શ્રીલંકા-અ વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા મળી છે. મેચ પૂરી થયા પછી ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આ મામલામાં શ્રીલંકા ક્રિકેટે શિસ્તભંગની કડક કાર્યવાહી કરી છે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, શ્રીલંકા ક્રિકેટે મેચ પછી થયેલા વિવાદમાં સામેલ ખેલાડીઓને સજા ફટકારી છે. આ ખેલાડીઓમાં શ્રીલંકાના વિશેન હલમ્બગેનું નામ પણ સામેલ છે. આ એ જ ખેલાડી છે જેની સાથે વૈભવ સૂર્યવંશીની તકરાર થઈ હતી અને વિવાદ વધતા બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જો કે, શ્રીલંકા ક્રિકેટે હજુ સુધી સત્તાવાર રીતે એ સ્પષ્ટ નથી કહ્યું કે, કયા ખેલાડીને કેટલી સજા આપવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઝઘડામાં સામેલ ખેલાડીઓની મેચ ફીમાં કટોતી કરવામાં આવી છે, પરંતુ દંડની પૂરેપૂરી વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી. આ રોમાંચક મુકાબલામાં મેચ રેફરીની જવાબદારી પ્રદીપ જયપ્રગાશ પાસે હતી. તેમના સ્તર પર સમગ્ર મામલાનો રિવ્યૂ કર્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે, આ ઘટનાને લઈને ભારતીય ખેલાડીઓ સામે કોઈ પગલાં લેવાયા છે કે નહીં.
