ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વલસાડ જિલ્લાના વાપી પાસે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે, જોકે રેલવે સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ વાપી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) એ આ ઘટનાની ગંભીરતાને જોઈને તુરંત તપાસ શરૂૂ કરી હતી. ટ્રેન અને એન્જિનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા રેલવે ટ્રેક પાસેના એક પોલ પાસે બે શંકાસ્પદ શખ્સોની ગતિવિધિઓ કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરપીએફની ટીમે વાપીના મોરાઈ ગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્યાં રહેતા બે યુવકો સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ (20 વર્ષ) અને શ્રીપાલ શિવનરેશને હિરાસતમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન સત્યેન્દ્રકુમારે વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવાની વાત કબૂલી લીધી છે. હાલ આરપીએફ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
