આજે માતૃભાષા દિવસ: રાજયમાં ત્રણ વર્ષમાં 475 ગુજરાતી માધ્યમની શાળા બંધ થઇ
ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશમાં પણ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે, પરંતુ ગુજરાતમાં ગુજરાતી ભાષા, વિષય અને શાળાઓ બંધ થવાનો સિલસિલો શરૂૂ થયો છે.છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં 475થી વધુ ગુજરાતી માધ્યમની માધ્યમિક શાળાઓના શટર પડી ગયા છે, જેની સામે નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂૂ થઈ હોય એની સંખ્યા માત્ર 230 જેટલી જ હોવાનું સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે.
અંગ્રેજી માધ્યમની 75થી વધુ સ્કૂલો બંધ થવા સામે 180 જેટલી સ્કૂલોનો પ્રારંભ થયો છે. બીજી તરફ ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં દર વર્ષે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ કરતાં પણ વધુ જોવા મળી છે. માત્ર ગત વર્ષે બદલાયેલ પરીક્ષા પદ્ધતિ અને વિદ્યાર્થી સંખ્યામાં થયેલ ઘટાડાના લીધે નાપાસની સંખ્યામાં ઘટાડો થયો છે.
સંચાલકો મારફતે મળેલી વિગત મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમની 475થી વધુ સ્કૂલોના શટર પડી ગયા છે, જેમાં વર્ષ મુજબ જોઈએ તો વર્ષ-2022માં 250થી વધુ, વર્ષ-2023માં 155થી વધુ અને વર્ષ-2024માં 70 જેટલી શાળાના શટર પડી ગયાં છે. આમ ગુજરાતમાં જે પ્રકારે વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાનું મન બનાવવા લાગ્યાં છે એ જોતા ગુજરાતી માધ્યમની શાળાઓ સતત બંધ થવા લાગી છે. શિક્ષણ બોર્ડના બુકલેટમાથી મળેલી વિગત મુજબ, માર્ચ-2022ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં 6,64,553 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 1,18,623 વિદ્યાર્થી નાપાસ થયા હતા. માર્ચ-2023માં 6,25,290 વિદ્યાર્થીમાથી 1,16,286 વિદ્યાર્થી નાપાસ થયા હતા જ્યારે માર્ચ-2024ની પરીક્ષામાં 5,83,718 વિદ્યાર્થીમાથી 46,178 વિદ્યાર્થી નાપાસ થયા હતા.
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 (અસર) મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ.5માં અભ્યાસ કરતાં બાળકો પૈકી 53.7 ટકા બાળકો ધોરણ.2ના પુસ્તકનું પણ વાંચન કરી શકતા નથી. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ગ્રામ્ય કક્ષાની શૈક્ષણિક ગુણવત્તા અંગેનો વર્ષ-2024નો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (અસર) જાહેર થયો હતો.
આ રિપોર્ટમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના બાળકોનું રેન્ડમલી અભ્યાસ કરાયો છે. વાંચન અંગેના જે આંકડા જાહેર કરાયા છે એ મુજબ ધોરણ.8માં અભ્યાસ કરતાં 75.9 ટકા બાળકો ધોરણ.2નું પુસ્તક વાંચી શકે છે, એનો મતલબ એ થયો કે 24 ટકા બાળકો ધો.2નું પણ પુસ્તક વાંચી શકતા નથી. એ સિવાય ધોરણ.5ના 46.3 ટકા જ બાળકો ધો.2નું પુસ્તક વાંચી શકે છે.
બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા અસરના સર્વેને ગુજરાતની શૈક્ષણિક ગુણવત્તા અંગે સ્વીકાર કરાતો નથી.
