ધાર્મિક ઉપરાંત રાજકીય નિવેદનો કરી આફત નોતરી
ભૂતપૂર્વ બોલીવુડ અભિનેત્રી અને હાલ સંન્યાસી બનેલા મમતા કુલકર્ણી ઉર્ફે ’યામાઈ મમતા નંદ ગિરિ’ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કિન્નર અખાડાના પ્રમુખ આચાર્ય મહામંડલેશ્વર ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ એક વીડિયો સંદેશ દ્વારા મમતા કુલકર્ણીને અખાડામાંથી બરતરફ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
વીડિયો નિવેદનમાં ડો. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “અખાડાના પદાધિકારીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મમતા કુલકર્ણીનો કિન્નર અખાડા સાથે કોઈ સંબંધ નથી.
તેઓ અખાડાના કોઈ હોદ્દા પર કે સભ્ય તરીકે રહેશે નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અખાડામાં મહિલાઓ, પુરુષો અને કિન્નરો સૌ સન્માન સાથે રહે છે અને તેઓ કોઈ બિનજરૂૂરી વિવાદ ઈચ્છતા નથી. જોકે, તેમણે મૌની અમાસના દિવસે બટુક બ્રાહ્મણો સાથે થયેલી ગેરવર્તણૂક અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.
આ સમગ્ર મામલો 25 (રવિવાર) ના રોજ શરૂૂ થયો હતો, જ્યારે મમતા કુલકર્ણીએ એક નિવેદનમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અત્યારના 10 માંથી 9 મહામંડલેશ્વર અને કહેવાતા શંકરાચાર્ય ખોટા છે અને તેમનામાં જ્ઞાનનો અભાવ છે.” તેમણે અવિમુક્તેશ્વરાનંદ પર ઘમંડી હોવાનો અને શિષ્યોને મુશ્કેલીમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ કહ્યું હતું કે ગુરુની જીદને કારણે શિષ્યોએ માર ખાવો પડે તે યોગ્ય નથી.
કિન્નર અખાડાના વડાએ સ્પષ્ટ કર્યું કે મમતા કુલકર્ણીના નિવેદનો તેમના ’વ્યક્તિગત’ છે અને તેની સાથે અખાડાને કોઈ લેવાદેવા નથી. સંન્યાસ પરંપરામાં ગુરુનું સન્માન સર્વોપરી છે અને મમતાએ અખાડા સાથે ચર્ચા કર્યા વિના આવા નિવેદનો આપ્યા હતા, જેના પરિણામે તેમને અખાડામાંથી બહાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ તેમને મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
