ઇરાન, ઇઝરાયેલ અને અમેરીકા વચ્ચે થઇ રહેલા યુધ્ધના પગલે ગઇકાલે સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. પરંતુ ગતરાતે સોના-ચાંદીના ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતા. ગઇકાલના ઉપલા લેવલથી ચાંદીમાં 27000નો મોટો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં પણ ઉપલા લેવલથી 5000 રૂા.નો ઘટાડો નોંધાયો છે. જો કે આજે ભારતીય બજાર ધુળેટીની રજાને કારણે બંધ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીમાં ફરી ઉછાળો નોંધાયો છે.
ગઇકાલે દિવસ દરમિયાન સોના-ચાંદીનાં ભાવમાં તેજી જોવા મળી હતી. યુધ્ધની પરિસ્થિતિ તેમજ જીયો પોલીટીકલ પરિસ્થિતિમાં સોના-ચાંદીમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ચાંદીમાં તો એક સમયે વાયદા બજારતમાં 297300ના ભાવ સુધી પહોંચી હતી. જયારે રાજકોટની બજારમાં હાજર ભાવ 307200 સુધી પહોંચ્યો હતો.
પરંતુ રાત્રીના આઠ વાગ્યા પછી ચાંદીમાં મોટા ગાબડા પડયા હતા અને ઉપલેા લેવલથી ચાંદીમાં 27000નો ઘટાડો નોંધાયો હતો. જો કે ભારતીય વાયદા બજારમાં ચાંદી 270125 પર બંધ આવી હતી. જયારે રાજકોટની બજારમાં ચાંદી ચોરસા 277790 અને શુધ્ધ ચાંદી 284890 પર જોવા મળી રહી છે. જોકે ધુળેટીની રજાને કારણે આજે ભારતીય વાયદા બજારમાં રજા હોવાથી આજે એમસીએકસ પર ટ્રેડીંગ બંધ છે.
જોે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે સોનુ વધીને 170250 સુધી પહોંચ્યો છે. જયારે ચાંદીનો ભાવ 295000 સુધી જોવા મળી રહ્યો છે. ચાંદીના પગલે સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલે સોનુ 7000 જેટલું વધ્યું હતુ પરંતું તે ઘટીને હાલ એમસીએકસ પર 166074 જોવા મળી રહ્યું છે એટલે કે ઉપલા લેવલથી સોનામાં પણ રૂા.5000નો ઘટાડો નોંધાયો છે. ભારતીય બજાર તો આજે બંધ છે પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે સોના ચાંદીમાં વધારા સાથે માર્કેટ ખુલ્યા છે. હાલ સોનુ 5322 ડોલર અને ચાંદી 87.36 ડોલર પર જોવા મળી રહી છે.
