જામનગરના ગોકુલનગર વિસ્તારની ઘટના, પારિવારિક કારણોસર તુટી હતી સગાઇ
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોકુલનગર, રડાર રોડ વિસ્તારમાં રહેતી જ્યોતિબેન જયંતીલાલ આચાર્ય (ઉ.વ. 22)ના લગ્ન માટે ખંભાળિયામાં સગાઈ કરવામાં આવી હતી. જોકે કોઈ પારિવારિક કારણોસર સગાઈ તૂટી જતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતાં હતાં અને પરિવારજનો સાથે પણ ઓછી વાતચીત કરતાં હતાં.
ગત 16 જુલાઈના રોજ સવારે અંદાજે 10થી બપોરે 3 વાગ્યાની વચ્ચે તેમણે પોતાના ઘરે સાડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે તેમના પિતા જયંતીલાલ અમૃતલાલ આચાર્યએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ શરૂૂ કરી છે. પોલીસે મૃત્યુના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
