અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે ગત તા.11ના રોજ બારડોલીથી સોમનાથ સુધી 18000 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સુરતના સરદારપ્રેમી ઉદ્યોગપતિ ગોપાલભાઇ ચમારડી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા ગઇકાલે સાંજે રાજકોટ આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરમાં બહુમાળી ચોકમાં સન્માનસભા યોજાઇ હતી.
આ સન્માન સભામાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળ ઉપરાંત ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજ પટેલ, રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, સાંસદ રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતા શાહ, ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈશ્ર્નવ, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ ઉપરાંત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહીતના અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને સરદાર પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સરદાર સન્માન યાત્રાનું ખોડલધામ દ્વારા શહેરમાં વિવિધ સ્થળે સન્માન કરવામાં આવ્યું હતું અને યાત્રાનું રાત્રી રોકાણ ગુરુકુળમાં રાખવામાં આવ્યું હતું. સવારે યાત્રાએ આગળ પ્રસ્થાન કર્યું હતું.
