ગુજરાતમાં આગામી રાજકીય પ્રવાહો અને સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન માળખામાં વ્યાપક અને મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ નેતૃત્વની આખરી મંજૂરી બાદ સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓ અને શહેરોના સંગઠનના નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારોમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લાના સંગઠન માળખા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં પક્ષ પ્રત્યે વફાદાર અને સક્રિય કાર્યકરોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે.
આ નિમણૂકો અંતર્ગત જામનગર શહેર ભાજપ મહામંત્રી તરીકે ભાવેશ કાનાણીની વરણી કરવામાં આવી છે, જેઓ લાંબા સમયથી પક્ષની સ્થાનિક ગતિવિધિઓમાં ખૂબ સક્રિય રહ્યા છે. બીજી તરફ, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વલ્લભ ઝાંપડિયાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ હંમેશાંથી ભાજપનો અભેદ્ય ગઢ રહ્યું છે, ત્યારે આ નિમણૂકથી સંગઠનની કામગીરીને વધુ વેગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ત્રણ મહત્વના હોદ્દાઓ પર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે અરવિંદભાઈ વાંસદડિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારતા ભૂમિકાબેન વિંઝવાડીયાને મોરબી જિલ્લા મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત નાણાકીય વહીવટ અને આંતરિક વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે મહેશભાઈ જાનીને મોરબી જિલ્લા ભાજપના નવા કોષાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં પક્ષના વિવિધ મોરચાઓને વધુ વેગવંતા અને સક્ષમ બનાવવા માટે મહિલા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચામાં મહત્વના ફેરફાર કરાયા છે. અમરેલી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પદે રમાબેન હીરપરા અને મહામંત્રી પદે ભાવનાબેન ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે, જે આગામી સમયમાં જિલ્લામાં મહિલા સંગઠનને વધુ વેગ આપશે. સાથોસાથ, સામાજિક સમીકરણોને યોગ્ય ન્યાય આપવાના પ્રયાસરૂૂપે અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે મુકેશ બગડા અને મહામંત્રી તરીકે શાંતિલાલ પરમારના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.
