શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતો ઠરાવ પસાર: માનીતાઓની ભરતી પર સરકારની બ્રેક
સરકારી શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણધામ મટી અને રાજકિય અખાડો બની ગઇ છે. ભરતીથી લઇને વિવિધ કામગીરીમા માત્ર માનીતાઓને ખટાવવાના ખેલ ચાલતા હોવાનુ ચિત્ર ઉપસી આવતા તેમજ તાજેતરમાં શિક્ષકો, અધ્યાપકોની ભરતીમાં થયેલી ભલામણો અને ગેરરિતીઓ સામે આવતા રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. અને હવેથી સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી કરવા માટે સરકારની મંજૂરી ફરજિયાત કરતો ઠરાવ પસાર કરી સરકારી યુનિવર્સિટીના સતાધીશોની મનમાની ઉપર બ્રેક મારી દીધી છે.
ગુજરાત યુનિવર્સિટીના 167 કર્મચારીઓની ભરતીના વિવાદ બાદ હાઇકોર્ટના આદેશ બાદ પેન્શન સહિતના તમામ લાભ આપવાનો તાજેતરમાં નિર્ણય લેવાયો છે. જોકે, આ ઘટના બાદ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓને સ્પષ્ટતા આપતો ઠરાવ પસાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની મંજૂરી વિના એકપણ કર્મચારીની ભરતી કરી નહીં શકાય. જો આ પ્રકારની ભરતી કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે.
જોકે, આ વિશે એક ઠરાવ પાસ કરી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મંજૂર કરવામાં આવે તેવા લાભ, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ-2023 સેક્શન 46ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા વિના યુનિવર્સિટી બારોબાર કોઈ કર્મચારીને મંજૂર કરી શકશે નહીં. સરકારના ઠરાવનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી યુનિવર્સિટીની રહેશે.
નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં સરકારી મંજૂરી વિના જ 167 કર્મચારીઓની ભરતી કરી દેવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે આ કર્મચારીઓને પેન્શન સહિત તમામ લાભ આપવાનો નિર્ણય લીધો છે.આ સિવાય ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં જે 167 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, તેને લઈને તે વખતના સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં આવશે. યુનિ.ના કાયદા અને સ્ટેચ્યુટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કર્યા બાદ તેની જાણ શિક્ષણ વિભાગને કરવાની સુચના અપાઈ છે.