મોડાસામાં માર્ગદર્શન કાર્યક્રમો, નિરિક્ષકોના વિશેષ પંચની થશે રચના, સંગઠન સર્જન અભિયાનની શરૂઆત
અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બાદ આવતીકાલ તા. 15થી ફરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આવતી કાલે તા. 15મીએ મોડાસા ખાતે કોંગેસના નવનિયુક્ત નિરિક્ષકો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપશે જ્યારે તા. 16મીએ અરવલ્લી જિલ્લાના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાને સંગઠનની કાયાપલટનો પ્રોજેક્ટ ગણાવે છે.
આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો લાવવાની તૈયારીમાં છે. તેઓ રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપશે.
મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી દરેક જિલ્લા અને શહેરમાં પાંચ જેટલા નેતાઓને કામની સોંપણી કરશે. આ ટીમમાં એક રાષ્ટ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોનો સમાવેશ થશે. આ નિરીક્ષકોને માત્ર જિલ્લા અને શહેરના પ્રમુખોની પસંદગીની જવાબદારી જ નહીં સોંપવામાં આવશે, પરંતુ તેઓએ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી તે જિલ્લા કે શહેરની સંગઠનાત્મક જવાબદારી નિભાવવાની રહેશે.
આ મહત્વપૂર્ણ કામગીરી માટે નિમાયેલા રાષ્ટ્રીય અને ગુજરાતના નિરીક્ષકોને તારીખ 15 અને 16 એપ્રિલે તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં તેઓને તેમની જવાબદારીઓ અને કામ કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ મજબૂત બનાવવામાં આવશે. કોંગ્રેસની વર્કિંગ કમિટી દ્વારા આ અંગે મંજૂરી મળ્યા બાદ ગુજરાતથી આ સંગઠનાત્મક અભિયાનની શરૂૂઆત કરવામાં આવશે. તેમણે આને સંગઠનનો પાયલટ પ્રોજેક્ટ ગણાવ્યો હતો, જેની શરૂૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે. ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાનમાં દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
નિરીક્ષકોનું એક વિશેષ પંચ દરેક જિલ્લામાં જશે અને યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપશે, જેથી પાર્ટીને જમીની સ્તરે મજબૂત કરી શકાય. રાહુલ ગાંધી પોતે પણ તારીખ 15 એપ્રિલે નિરીક્ષકો સાથે એક ઓરીએન્ટેશન બેઠકમાં ભાગ લેશે, જેમાં તેઓ નિરીક્ષકોને જરૂૂરી માર્ગદર્શન આપશે. ત્યારબાદ, તારીખ 16 એપ્રિલે રાહુલ ગાંધી સત્તાવાર રીતે આ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે.
આ ઉપરાંત, તારીખ 16 એપ્રિલના બપોરના સમયે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે સીધો સંવાદ પણ કરશે, જેમાં તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરશે અને કાર્યકરોના વિચારો જાણશે. રાહુલ ગાંધીનો આ મોડાસા પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને તેનાથી પાર્ટીના સંગઠનમાં એક નવો ઉત્સાહ જોવા મળી શકે છે.
નિરિક્ષકોનું ચાર સ્તરીય માળખું
કોંગ્રેસ દ્વારા સંગઠન મજબુત બનાવવા ચાર સ્તરીય નિરિક્ષકોની નિમણુ કરાઇ છે. જેમાં એઆઇસીસીના 43 નિરિક્ષક અને સાત સહાયક નિરિક્ષકોની જાહેરાત કરાઈ છે. જયારે ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો જાહેર કરાયા છે. એઆઇસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકની ટીમ બનશે. ખાસ વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ નામોના લિસ્ટ સાથેની માહિતી જાહેર કરવામાં આવી છે. નિરિક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે બપોરે 3 કલાકે મોડાસા ખાતે મળશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવાયું કે, કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ઝુંબેશ હેઠળ ગુજરાત માટે AICC અને PCC નિરીક્ષકોની નિમણૂકને મંજૂરી આપી છે. AICC નિરીક્ષકોને જિલ્લા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોની પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા પર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવે છે. AICC ઓબ્ઝર્વર સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું જૂથ 41 જિલ્લા કોંગ્રેસ સમિતિઓમાંની દરેકને સોંપવામાં આવશે. AICC ઓબ્ઝર્વર જૂથના ક્ધવીનર હશે.
