કોંગ્રેસે હોબાળો કરતા રાજ્યપાલે પ્રવચન ટૂંકાવવું પડ્યું, આમ આદમી પાર્ટી ચૂંટણીથી અલિપ્ત રહી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના શ્રીગણેશ જ ભારે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે થયા છે. વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
સોમવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે લોકશાહીના મંદિરમાં રાજકીય પારો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રની શરૂૂઆત થઈ હતી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફી અને કાયમી ભરતી જેવા મુદ્દે એટલો હોબાળો કર્યો કે રાજ્યપાલે પોતાનું ભાષણ માત્ર 20 મિનિટમાં આટોપી લેવું પડ્યું હતું.
રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વનિ મતથી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમની જીત થતા જ ભાજપના સભ્યોએ ’જય શ્રી રામ’ના નારા સાથે ગૃહ ગજવી દીધું હતું.
કોંગ્રેસે શૈલેષ પરમારનું નામ આગળ કર્યું હતું. કોંગ્રેસનો તર્ક હતો કે સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ, પરંતુ ભાજપે પોતાની બહુમતીના જોરે આ પરંપરા તોડી હોવાનો આક્ષેપ શૈલેષ પરમારે કર્યો હતો. આમ આદમી પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયાથી અંતર જાળવ્યું હતું. ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે હાર-જીત પહેલેથી જ નક્કી હોવાથી અને કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકાને જોતા ’આપ’ મતદાનમાં જોડાયું નહોતું.
કોંગ્રેસના સભ્યો ક્રોસ વોટિંગ કરે તો નામ અમારું બગડે: આમ આદમી પાર્ટી
ચૂંટણીના આ જંગમાં આમ આદમી પાર્ટીએ અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો હતો. આપના નેતા ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, પરિણામ શું આવવાનું છે તે બધા જાણે છે. કોંગ્રેસે અમારી પાસે કોઈ ટેકો માંગ્યો નથી. જો કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો અમારું નામ ખોટું ખરાબ થાય, તેથી અમે આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નહીં લઈએ. ચૈતર વસાવાએ વધુમાં કટાક્ષ કર્યો હતો કે લોકશાહીના મૂલ્યો જળવાય તે જરૂૂરી છે.
