કોળી સેના-ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ કોળી પર થયેલા જીવલેણ હુમલાની પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોળી સેનાના મોરબી શહેર અને જિલ્લા યુવા પ્રમુખ માઘવભાઈ લક્ષ્મણભાઈ પરેશાએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને ન્યાયની માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, તા. 29/12/2025ના રોજ નવનીતભાઈ કોળી પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા નિર્દયતા પૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કોળી સેનાનો આક્ષેપ છે કે, આવી ગંભીર ઘટના છતાં સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી. પોલીસના વલણથી કેસને હલકો પાડવાનો કે દિશાહીન કરવાનો પ્રયાસ થતો હોવાનું સ્પષ્ટ થાય છે, જેના કારણે મુખ્ય આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
સમાજમાં ફેલાયેલા ભારે રોષને ધ્યાને લઈને કોળી સેનાએ કલેક્ટર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે. જેમાં આ કેસની સંપૂર્ણ નવી રીતે અને ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ હાથ ધરવી, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કડક કાનૂની કાર્યવાહી કરવી, અને પીડિત નવનીતભાઈ કોળીને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપવવા જણાવાયુ છે. તેમજ જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો આ મામલો વધુ ઉચ્ચ સ્તરે રજૂ કરવાની વાત ઉચ્ચારાઈ છે.
