જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ માં ખાડા સહિતની લોકસમસ્યાને વાચા આપવા આજે કોંગ્રેસ દ્વારા મેયર ની ચેમ્બર પાસે અને સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ઢોલ-નગારા-ઝાલર અને ઘંટ વગાડી મેયર ને ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, અને મેયર ઓફિસમાં આવ્યા નહીં હોવાથી તેમની ચેમ્બરના દરવાજે આવેદન ચિપકાવ્યું હતું.
જામનગર માં મેયરની ચેમ્બરના દરવાજે ચિપકાવાયેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, મેયર સત્તાના નશામાં હોદ્દાનું ભાન ભૂલી ગયા હોય તેમ લાગે છે. ખુદ મેયરના વોર્ડમાં જ અનેક સમસ્યાઓ જોવા મળે છે, પરંતુ કામ કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવે છે. લોકોએ 40 ટકા કમિશન ખાવા માટે મત આપ્યા હતાં? રસ્તાના ખાડા ભરાય નહીં પરંતુ કમિશનથી ખિસ્સા ભરાઈ ગયા છે. સત્તાધિશોના કારણે વિકાસ અટક્યો છે. જામનગરના અનેક માર્ગો અત્યંત ખરાબ હાલતમાં છે. કચરાના ચોતરફ ઢગલા જોવા મળે છે. સફાઈ યોગ્ય રીતે થતી નથી, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાથી પોતાનું મોઢું છૂપાવે છે.
આવેદનપત્ર ઉપર નક્કર કાર્યવાહી કરવી જોઈએ. આ કાંઈ વાચીને કાગળો ફેંકી દેવા માટે આપવમાં આવતા નથી. જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનું પરિણામ પણ તમારે ભોગવવું પડશે. કોંગ્રેસ દ્વારા મેયર સહિતના શાસકોને ઊંઘમાંથી જગાડવા માટે આજે જામનગર મહાનગરપાલિકામાં મેયરની ચેમ્બર પાસે અને સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ઢોલ-નગારા-ઘંટ-ઝાલર વગાડ્યા હતાં અને લોકસમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા જે.પી. મારવિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ મહિલા કોંગ્રેસના અગ્રણી સહારાબેન મકવાણા, મહિપાલસિંહ, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, કાસમભાઈ જોખિયા અને નુરમામદ પલેજા ઉપરાંત પાર્થ પટેલ સહિતનાઓ જોડાયા હતાં.
