મોરબીમાં રહેતી સગર્ભાનું શ્ર્વાસની બિમારી સબબ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસે સગર્ભાના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ આવેલા શોભેશ્ર્વર રોડ પર રહેતી માયાબેન સુરેશભાઈ મારૂણીયા નામની 40 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે શ્ર્વાસની બિમારી સબબ તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માયાબેનનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં માયાબેનને હાલ ત્રણ માસનો ગર્ભ હતો. માયાબેનનો શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ માયાબેનના મોતનું કારણ જાણવા મળશે. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જસદણના કાનપર ગામે રહેતાં મંગુબેન ભગવાનભાઈ ચૌહાણ (ઉ.52) બપોરના સમયે પોતાના ઘર પાસે ગાયને એઠવાળ દેવા માટે જતાં હતાં ત્યારે ગાયે ઢીંક મારી પછાડી દીધા હતાં. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
