દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ ભાજપનાં જ નેતાઓએ ઉલાળીયો કરી નાખ્યો છે ભાજપનાં નેતાઓ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના મોતનો મલાજો બે દિવસ પણ રાખી શક્યા નથી.
જાણકારી મુજબ અમદાવાદમાં ભાજપના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને મણિનગરના કોર્પોરેટરો સહિત ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય શોકને માન્ય નહિ રાખી ફટાકડા ફોડીને ઊજવણી કરી હોવાનુ સામે આવ્યું છે. આમ પોતાની જાતને રાષ્ટ્રવાદી ગણાવતા ભાજપના જ પક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય શોકના નિર્ણયને માન્ય ન રાખ્યો.
ગુજરાત ભાજપ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત મંડલ અને વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે ગત 28 ડિસેમ્બરે અમદાવાદ મહાનગરના 40 જેટલા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી.જેની ખુશીમાં અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાર્યકર્તાઓએ 7 દિવસનો રાષ્ટ્રીય શોક હોવા છતાં ઇસનપુર ખાતે આવેલી પોતાના કાર્યાલય બહાર ઉજવણી કરી હતી અને ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા અને આમ એક તરફ રાષ્ટ્રીય શોક હોવા છતાં ભાજપના નેતાઓએ પૂર્વ વડાપ્રધાનના મોતનો મલાજો બે દિવસ પણ નથી રાખી શક્યા
હવે આ ઘટના મામલે રાજકારણ ગરમાયું છે. પૂર્વ વડાપ્રધાનના મોત પછી તેમના માનમાં રાષ્ટ્રીય શોક રાખવામાં આવ્યો હોય તે દરમિયાન કરેલી ઉજવણી ટીકાને પાત્ર બની છે. જાહેર સરઘસ અને આતશબાજીનો કાર્યક્રમ હોય તો પોલીસ પરવાનગી લેવી ફરજિયાત હોય છે, ત્યારે સવાલ તે થાય છે કે, શું ભાજપના સંગઠને આ કાર્યક્રમની પોલીસ પરમિશન લીધી હતી? અને જો તેમને મંજૂરી માંગી હોય અને આ માટે મંજૂરી આપવામા આવી હોય તો જે પોલીસ અધિકારીએ મંજૂરી આપી તેમના પર દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને જો મંજૂરી ના માગી હોય તો પોલીસે આ કાર્યક્રમના આયોજક ઉપર પણ ફરિયાદ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.
