તુર્કીમાં વિમાન ક્રેશ, લીબિયાના સૈન્ય વડા સહિત પાંચનાં મોત

લીબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય 4 લોકોનું એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમનું પ્રાઇવેટ જેટ તૂર્કિયેની રાજધાની…

લીબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય 4 લોકોનું એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમનું પ્રાઇવેટ જેટ તૂર્કિયેની રાજધાની અંકારાથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાને લીબિયાના વડાપ્રધાને દેશ માટે એક મોટી ખોટ ગણાવી છે.

તૂર્કિયેના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફાલ્કન 50 બિઝનેસ જેટ અંકારામાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા પૂર્ણ કર્યા બાદ લીબિયા પરત ફરી રહ્યું હતું. વિમાને અંકારાના એસેનબોગા એરપોર્ટ પરથી સાંજે 8:30 વાગ્યે ઉડાન ભરી હતી, અને લગભગ 40 મિનિટ બાદ જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો.
તૂર્કિયેના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે, વિમાને અંકારાના હાયમાના જિલ્લા પાસે ઇમરજન્સી લેન્ડિંગનો સંકેત આપ્યો હતો, પરંતુ તે પછી કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. વિમાનનો કાટમાળ હાયમાના જિલ્લાના કેસિક્કાવાક ગામ પાસે મળી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આકાશમાં અચાનક વિસ્ફોટ થતો જોવા મળ્યો હતો.

આ દુર્ઘટનામાં લીબિયાના આર્મી ચીફ અલ-હદ્દાદની સાથે ગ્રાઉન્ડ ફોર્સના ચીફ અલ-ફિતૌરી ઘે્રબીલ, મિલિટરી મેન્યુફેક્ચરિંગ એજન્સીના ડાયરેક્ટર મહમૂદ અલ-કુતાવી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ-અસાવી દીબ અને મીડિયા ઓફિસના ફોટોગ્રાફર મોહમ્મદ ઉમર અહેમદ મહજૂબ પણ સવાર હતા અને તેમના પણ મોત થયા છે. લીબિયાના અધિકારીઓએ વિમાન દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી જણાવ્યું છે.

જનરલ અલ-હદ્દાદ અંકારામાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા માટે આવ્યા હતા, જ્યાં તેમણે તૂર્કિયેના સંરક્ષણ મંત્રી યાસર ગુલર અને ચીફ ઓફ જનરલ સ્ટાફ સેલ્ચુક બાયરક્તારોગલુ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ મજબૂત કરવાનો હતો. આ દુર્ઘટના બાદ અંકારા એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને તૂર્કિયેના ન્યાય મંત્રાલયે આ દુર્ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની ટીમની રચના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *