બલૂચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટનામાંથી પાક. ધડો નહીં લે તો એના ટુકડા થશે

પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર…

પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને ટ્રેનને હાઈજેક કરી એ આવી જ ઘટના છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ ટ્રેનમાં 500 જેટલા મુસાફરો સવાર હતા. બલૂચ લિબરેશન આર્મીના હુમલાથી ચોંકેલું પાકિસ્તાની લશ્કર હરકતમાં આવ્યું ત્યાં સુધીમાં 100થી વધારે માણસોને બીએલએના લોકો પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા. સુરક્ષા દળોએ ટ્રેનમાં રહી ગયેલા લોકોમાંથી 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકો મળીને 80 બંદીને બચાવ્યા છે, પણ તેમાં પાકિસ્તાન આર્મીએ કોઈ બહાદુરી બતાવી નથી. બીએલએના મોટા ભાગના માણસો ટ્રેન છોડીને જતા રહેલા એટલે મુસાફરોને બહાર લાવવા માટે વધારે મહેનત કરવાની જરૂૂર નહોતી. બલૂચિસ્તાનમાં બનેલી ઘટનાએ પાકિસ્તાનને આખી દુનિયા સામે ડફોળ અને આતંકવાદીઓનો અડ્ડો સાબિત કરી દીધું છે.

લડવૈયાઓ તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે બીએલએની સ્થાપના 1970માં થઈ, પણ બલૂચ પ્રજા પાકિસ્તાનથી આઝાદ થવા છેક 1947થી લડે છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બૂલૂચ પ્રજાનો મોટો વર્ગ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માગતો હતો, પણ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા. બલુચિસ્તાનને પાકિસ્તાનનો પ્રાંત બનાવાયો ને સ્વતંત્રતા ઇચ્છતા લોકો ભવિષ્યમાં માથું ના ઊંચકે એ માટે લશ્કરે અત્યાચારો શરૂૂ કર્યા તેથી પાકિસ્તાન આર્મી અને લોકો વચ્ચેનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે. પાકિસ્તાન ભારત બીએલએને મદદ કરતું હોવાનો આક્ષેપ મૂકે છે, પણ તેના કોઈ પુરાવા આપી શકતું નથી. અલબત્ત ભારત મદદ કરતું હોય તો તેમાં કશું ખોટું નથી કેમ કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદને ભડકાવે જ છે ને? જેવા સાથે તેવા થવામાં કશું ખોટું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *