વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાઓને ઉદ્દેશી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ધોરણ.1થી 5માં 27 ફેબ્રુઆરી અને ધોરણ.6થી 8માં 28મી ફેબ્રુઆરીના રોજ કેમ્પ યોજવાનો રહેશે.
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીનો કેમ્પ પૂર્ણ થયા બાદ પણ હજુ કેટલાક જિલ્લામાં જગ્યા ખાલી અને વેઇટિંગમાં શિક્ષકો હોવાની રજૂઆતો થઈ હતી, આથી ઓફલાઇન કેમ્પનો બીજો તબક્કો યોજવા અંગે નિયામક કચેરીએ વિભાગને પત્ર પાઠવતા મંજૂરી અપાઈ છે.વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બદલી માટે રાહ જોતા અને થોડા માટે વેઇટિંગમા રહી ગયેલા શિક્ષકોને ફાયદો થશે.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ, આંતરિક અને જિલ્લાફેર બદલી કેમ્પના કારણે શિક્ષકો હાજર થવાની રાજ્યના ઘણા જિલ્લાઓમાં જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. બીજી તરફ બદલીથી અન્ય શાળામાં ગયેલ શિક્ષકોના કારણે મૂળ શાળાઓમાં જગ્યાઓ પણ ખાલી પડી છે. આથી આ પ્રકારે છૂટા થયેલા જ્ઞાન સહાયકને જે-તે જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં નિમણૂક આપવામાં આવશે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ અને શાસનાધિકારીને પરિપત્ર દ્વારા સૂચના પણ આપી છે. બીજી તરફ ઉમેદવારોમાં એવી માગ થઈ રહી છે કે, જ્ઞાન સહાયકની સેન્ટ્રલાઇઝડ ભરતીમા મોટી સંખ્યામાં શાળાઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત રહેશે. કારણ કે, ઘણા ઉમેદવારો હાજર થતાં નથી અને હાજર થયા બાદ પણ છુટા થઈ જાય છે. આથી સેન્ટ્રલાઇઝડના અમુક તબક્કા બાદ જિલ્લામાં સત્તા સોંપવી જોઈએ.