લાંબી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે આજે સંસદમાં ધમાલ વચ્ચે ઐતિહાસીક વન નેશન, વન ઇલેકશન બિલ રજુ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે આ ખરડો રજુ કરતા જ હોબાળો મચી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીએ પણ તેના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. સૂત્રોનું માનીએ તો સરકારના બિલને એનડીએના સાથી પક્ષોનું સમર્થન પણ મળ્યું છે, જ્યારે વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે આ ખરડો સોવારે રજુ થશે તેવું જાહેર કરાયું હતું પણ એપછી આજે રજુ કરવા ફેંસલો થયો હતો.
ગયા ગુરુવારે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું અને ભારતમાં વન નેશન, વન ઇલેક્શન માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કાયદા સંબંધિત બિલને મંજૂરી આપી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂૂઆતમાં કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉચ્ચ સ્તરીય સમિતિના પ્રસ્તાવોને પણ મંજૂરી આપી હતી.
સૂચિત કાયદા અનુસાર, તેને બે તબક્કામાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે અને 100 દિવસમાં બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.
એવું માનવામાં આવે છે કે જો કોઈને બિલમાં હાજર કલમો અને તથ્યોને લઈને કોઈ વાંધો હોય તો સરકાર તેને સંસદીય સમિતિને મોકલી શકે છે. હાલમાં સરકારના ઘટક પક્ષોએ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે વિપક્ષ રાજકીય કારણોસર આ બિલની વિરુદ્ધ છે. આ અંગે ગૃહમાં હોબાળો થઈ શકે છે. હાલમાં સરકારે લોકસભામાં બિલ પસાર કરવાની સંપૂર્ણ યોજના બનાવી છે.
