જગદીશભાઇ પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવે છે
આવક કરતાં વધુ સંપત્તિ ધરાવનારા અનેક બાબુઓ અને રાજકારણીઓ દેશ વાસીઓની નજર સામે છે. ત્યારે યાત્રાધામ ડાકોરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક ફેરિયાને આવકવેરા વિભાગે 19 કરોડની નોટીસ મોકલીને આવકનો ખુલાસો માંગ્યો છે. આ નોટીસ મળતાં ફેરિયો પણ ચોંકી ગયો હતો.
ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ ભૈયાને પેટલાદ ઈન્કમટેક્સ વિભાગે 19 કરોડ રૂૂપિયાની નોટીસ મોકલી છે અને તેમની આવક અંગે ખુલાસો માંગ્યો છે. આ નોટીસ મળતાં જ જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
તેઓ ડુંગળા ભાગોળ સત્યનારાયણ મંદિર સામે ભાડાના ઘરમાં રહે છે. આવક વેરા વિભાગે વર્ષ 2021-22નો 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23નો 7 કરોડ 98 લાખ મળી કૂલ 19.84 કરોડની નોટીસ આ ફેરિયાને મોકલી છે. આ ફેરિયો અભણ હોવાથી પહેલા તો તેને નોટીસ શું છે તે સમજાયુ નહોતું પણ તેણે કેટલાક લોકોને આ નોટીસ બતાવી હતી. તેને 19 કરોડની નોટીસ આવક વેરા વિભાગ તરફથી ફટકારવામાં આવી છે તેવુ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.નોટીસ પેટલાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલાઈ છે અને તેના કવર પર 5500 રૂૂપિયાની ટીકિટ પણ લગાડેલી છે. ઈન્કમટેક્સ વિભાગે નોટીસ ફટકારતા તેની પર મોટું સંકટ આવી પડ્યું છે.
