ઘર સભા માટે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અટકાવાતા ભારે ચકચાર
મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તેમને ગામમાં પ્રવેશતા અટકાવ્યા અને રોકડું પરખાવ્યું કે જેઓ સનાતન ધર્મને નીચો બતાવે છે, તેમને ગામમાં પ્રવેશ મળશે નહીં. સંતો એક ‘ઘર સભા’ માટે ગામમાં પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેમને અટકાવીને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત નિવેદનોને કારણે ઊભો થયો છે.
મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગ્રામજનો વચ્ચેની તંગ વાતચીતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો આશરે 3 દિવસ જૂનો હોવાનું અનુમાન છે. સંતો એક ધાર્મિક સભા માટે ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ સહિતના લોકોએ તેમને રોક્યા હતા. ગ્રામજનોએ સંતોને સ્પષ્ટપણે કહ્યું કે, ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ અને ‘અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં.’ તેમણે સંતોને તેમના ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ પણ આપી. આ વિરોધ બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી.
સ્થાનિક ગ્રામજનોની મુખ્ય દલીલ એ છે કે તલગાજરડા એ સનાતન ધર્મનું ગામ છે, અને તેઓ કોઈ પણ સંપ્રદાયને પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે આવકારી શકે છે, પરંતુ તે પ્રચાર અન્ય કોઈ ધર્મને નીચો દેખાડવાના ભોગે ન થવો જોઈએ. ગ્રામજનોએ સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલવાનો આરોપ મૂક્યો, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
ગામલોકોએ ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મ તેમના માટે સર્વોપરી છે. આ ગામમાં મોરારિબાપુ જેવા મહાન ધર્મગુરુનું વતન હોવાથી પણ આ ઘટનાનું મહત્ત્વ વધી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ કે સંપ્રદાયને કોઈ અન્ય ધર્મનું અપમાન કરવાનો અધિકાર નથી, અને આ કારણોસર જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ ઘટના ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના વિવાદને સપાટી પર લાવી છે.
