બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ ફાયર એનઓસી ન મળતા આ મકાનો ખંઢેર થવાની સ્થિતિમાં છે.
બગસરા તાલુકામાં છેલ્લા બે વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક શાળાઓને જર્જરિત ઓરડાઓમાંથી અધ્યતન બિલ્ડીંગમાં બદલી નાખેલ છે. પીઠડીયા, ક્ધયાશાળા, તાલુકા શાળા, હામાપુર, સુડાવડ, જૂની હળિયાદ, વગેરે ગામમાં કરોડોના ખર્ચે અધ્યતન શાળાના મકાનો તૈયાર કરવામાં આવેલ છે. જેમાં મોટાભાગની શાળાઓમાં ફાયર એનઓસી નો પ્રશ્ન ન હોય વિદ્યાર્થીઓ નવા બિલ્ડિંગમાં શિક્ષણ મેળવી રહ્યા છે.
પરંતુ બગસરા શહેરની એવી અનેક શાળાઓ છે જેને બિલ્ડીંગ તૈયાર થઈ ને અનેક મહિનાઓ થઈ ગયા હોવા છતાં ફાયર એનઓસી આપવામાં આવેલ નથી. બગસરામાં ક્ધયાશાળા તેમજ તાલુકા શાળા બંને શાળાને ફાયર એનઓસી ન મળતા વિદ્યાર્થીઓ આજે પણ નવા બિલ્ડિંગમાં બેસી શકતા નથી. ફાયર એનઓસીના ન હોવાને કારણે આદ્યતન મકાનો ખંઢેરમાં ફેરવાઈ રહ્યા છે. બાળકોને ઉપયોગમાં આવી શકે તેમ ન હતા તો આવા બિલ્ડિંગોમાં કરોડોનો ખર્ચ સરકારે શા માટે કર્યો તેવા સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.
