છેલ્લા કેટલાક સમય થયા ઓનલાઈન શોપિંગના વધતા જતા ક્રેઝ સાથે ગ્રાહકોમાં શોપિંગ મોલનું આકર્ષણ નાના વેપારીઓ માટે ખૂબ જ ચિંતાજનક બની રહ્યું છે. ત્યારે ખંભાળિયામાં પણ ઓનલાઈન ખરીદી અને શોપિંગ મોલને લઈને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ વચ્ચે ખંભાળિયામાં લોકો ઓનલાઈનના બદલે સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરે તેવો વ્યાપક સૂર સાંભળવા મળી રહ્યો છે.
આગામી નજીકના દિવસોમાં મહાપર્વ એવા દિવાળીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે દરેક હિન્દુ પરિવારજનો આ રોશનીના પર્વને હોંશભેર ઉજવે છે. જેમાં ખાસ કરીને નાના દીવડાઓથી માંડીને મોટી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ, મોબાઈલ ફોન, વિગેરેની ખરીદી પણ લોકો આ જ દિવસોમાં કરે છે.
દરેક વ્યક્તિ માટે દિવાળીનું અનેરૂૂ મહત્વ હોય છે. ત્યારે સ્થાનિક વેપારીઓ પોતાના ગ્રાહકોને શક્ય તેટલા તમામ લાભ કે સગવડ આપી અને સહાયભૂત થાય છે આ પરિસ્થિતિમાં લોકો ઓનલાઈન ખરીદી કરે તો તેનો લાભ અન્યત્ર – મોટા એકમોને ચાલ્યો જાય છે અને પરિણામે સ્થાનિક આર્થિક ચક્ર ખોરવાઈ જાય છે.
જેમાં ખાસ કરીને નાના વેપારીઓ કફોડી હાલતમાં મુકાઈ જાય છે. આને અનુલક્ષીને ખંભાળિયાના શહેરીજનો સ્થાનિક વેપારીઓ તેમજ ગામની બજારોમાંથી જ ખરીદી કરે તેવી આગ્રહ ભરી વિનંતી સાથેના મેસેજ તેમજ અભિવ્યક્તિ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અહીંના બ્રહ્મ સમાજના યુવા કાર્યકર ઋષિરાજ ખેતિયા, રોબિન હુડ આર્મીના વિકી રૂૂઘાણી વિગેરે દ્વારા એક અપીલમાં ખંભાળિયાના નગરજનો સ્થાનિક બજારોમાંથી ખરીદી કરે અને વેપારીઓ સાથે સ્થાનિક લોકોને સહાયભૂત થઈને સૌની દિવાળી વધુ રોશની સભર બનાવે તેવો અનુરોધ કર્યો છે.
