જામનગરના એક આસામીએ નવસારીમાં વસવાટ કરતા વ્યક્તિ સામે રૂૂ.7 લાખ 85 હજારના પાંચ ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે તમામ કેસમાં એક વર્ષ ની કેદ ની સજા અને ચેક ની રકમ મુજબ નો દંડ ભરવા નવસારીના આસામી ને હુકમ કર્યો છે.
જામનગરના નટવરલાલ કાકુભાઈ કોટેચા નામના વેપારી સાથે નવસારીમાં કપડાનો વ્યવસાય કરતા ભરતભાઈ વાછાણીએ મિત્રતાના દાવે રૂૂ.7 લાખ 8પ હજાર ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે જુદી જુદી રકમના પાંચ ચેક આપ્યા હતા.
તે તમામ ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યા હતા. આથી નટવરલાલે અદાલત મા ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, બંને વચ્ચે મિત્રતા નો સંબંધ નથી પરંતુ નટવરલાલના બહેને તેઓની મુલાકાત કરાવી હતી અને રૂૂ.1 લાખ હાથઉછીના મેળવી તેની સામે સિક્યુરિટીમાં અપાયેલા ચેકનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. બંને વચ્ચે રૂૂ.1 લાખનો જ વ્યવહાર થયો છે અને તેમાંથી અમૂક રકમ આરોપીએ ફરિયાદીના બહેનના ખાતામાં જમા પણ કરાવી છે.
બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે મૌખિક બચાવથી કેસ ખોટો હોવાનું માની શકાય નહીં તેવી ફરિયાદ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે દરેક કેસમાં આરોપીને તક્સીરવાન ઠરાવી એક-એક વર્ષની કેદની સજા અને રૂૂ.7 લાખ 85 હજારનો દંડ ફટકાર્યો છે. ફરિયાદ તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
