મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ અનામતના હકદાર નથી: મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્માંતરણ અને અનામત અંગે એક અત્યંત મહત્વપૂર્ણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામ ધર્મ અપનાવનારી વ્યક્તિ…

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્માંતરણ અને અનામત અંગે એક અત્યંત મહત્વપૂર્ણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામ ધર્મ અપનાવનારી વ્યક્તિ માત્ર ‘મુસ્લિમ’ ગણાશે, તે કોઈ વિશેષ પછાત મુસ્લિમ સમુદાયના હોવાનો દાવો કરીને અનામતનો લાભ મેળવી શકે નહીં. આ સાથે જ હાઇકોર્ટે તામિલનાડુ સરકારના વર્ષ 2024 ના તે સરકારી આદેશને પણ ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. જેમાં ધર્મ પરિવર્તન કરનારાઓને અધર બેકવર્ડ ક્લાસનો(OBC Muslim) દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ કેસ તૂતીકોરીન જિલ્લાના એક વ્યક્તિની અરજી સાથે જોડાયેલો હતો. હિન્દુ પરિવારમાં જન્મેલા આ વ્યક્તિએ વર્ષ 2015 માં ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. ત્યારબાદ તેણે પોતાને ‘મુસ્લિમ લેબ્બઈ’ સમુદાયના ગણાવીને પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર માંગ્યું હતું, પરંતુ સ્થાનિક તલાટીએ તેની અરજી ફગાવી દીધી હતી. તલાટીના આ નિર્ણયને પડકારતા તે હાઇકોર્ટ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે દલીલ કરી હતી કે જેઓ પહેલા હિન્દુ ધર્મમાં OBC, MBC, DNC કે SC હેઠળ અનામતનો લાભ લેતા હતા, તેઓ મુસ્લિમ બન્યા પછી પણ OBC (Muslim) તરીકે લાભ મેળવી શકે તે માટે 2024 નો આદેશ બહાર પડાયો હતો.

જો કે, જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ પી.બી. બાલાજીની ખંડપીઠે સરકારની દલીલોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું કે 1951 માં જ મદ્રાસ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ સ્વીકારનાર વ્યક્તિ માત્ર મુસ્લિમ જ રહે છે, તેનો સામાજિક દરજ્જો તેની જૂની જ્ઞાતિથી નક્કી થતો નથી. આ સિદ્ધાંતને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *