મોરબી જિલ્લા ની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત કરવા સહિતના ત્રણ પરિપત્ર અમલી બનાવ્યા હતા.જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સામુહિક ઠરાવ કરીને આ ત્રણેય પરિપત્ર રદ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓની અધ્યક્ષતામાં આજે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં દસ દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી હતી. ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટેના અગાઉના ત્રણ પરિપત્ર રદ કરવાનો મુખ્ય મુદ્દો ઉમેરવામાં આવ્યો હતો જે ત્રણેય પરિપત્ર રદ કરવા સામુહિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સાથે એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે જે ગ્રામ પંચાયત ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્વભંડોળના રૂૂ.45 લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને રૂૂ.5 કરોડના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ડીડીઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં દોઢેક વર્ષના ગાળામાં બાંધકામ મંજુરી સંદર્ભે ત્રણ પરિપત્ર અમલમાં મુકવામાં આવ્યા હતા. જેનાથી ઉદ્યોગકારો, બાંધકામ વ્યવસાયિકો અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી રહી હોવાની લોકપ્રતિનીધીઓની રજુઆત મળી હતી. આજની સામાન્ય સભામાં સભ્યોએ પૂરતી ચર્ચાઓને અંતે આ ત્રણેય પરિપત્ર રદ કર્યા છે.
હવે રાજ્ય સરકારના બાંધકામના નિયમોને સુસંગત રહીને સામાન્ય નાગરિકોને કોઈ અડચણ ન રહે તે રીતે બાંધકામ મંજૂરી સંબંધે સૂચનાઓ બહાર પાડવાની રહે. સરકારના નિયમોનુસાર લોકોને સરળતા રહે તેવી પ્રક્રિયા અંગે હવે અમે વિચારણા કરીશું.
