ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલય દદ્વારા દેશભરમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજવા અપાયેલી સુચનાના પગલે ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકડ્રીલ યોજવામાં આવનાર છે. આ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી હતી.
ગુજરાતમાં આવતી કાલે યોજાનાર મોકડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાતમાં પાકિસ્તાની જમીની અને દરિયાઈ સરહદને કનેક્ટ કરતા હોય તેવા જિલ્લાઓમાં મોકડ્રીલ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના પણ કચ્છ-જામનગર-પોરબંદર સહિતના જિલ્લાઓ પાક. સરહદને જોડતા હોય, આ જિલ્લાઓને મોકડ્રીલની અલગ-અલગ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ દરેક જિલ્લામાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજવામાં આવનાર છે.
