અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા, પતિને જીવનું જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો
ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. અગાઉ સિંગર કિંજલ દવે મામલે વિવાદ સર્જાયો હતો. હવે લોક ગાયક કિંજલ રબારીના લગ્નથી વિવાદ સર્જાયો છે. રાધનપુરની આ ગાયિકાએ અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરતાં વિવાદ વકર્યો છે. સિંગર કિંજલ રબારીએ પોતાનું અને પતિનું જીવન જોખમમાં હોવાથી પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે.
રાધનપુરના સીનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ બાબતે વિવાદ વધતાં કિંજલે કહ્યું હતું કે, મેં મારા પરિવાર અને પરિવારના સભ્યોને અમારા લગ્ન કરાવવા બાબતે મનાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતાં. હાલમાં સોશિયલ મીડિયામાં મારા પતિ અશોક ચૌધરી સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે.
અમારા લગ્ન બાદ મારૂૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માગ કરી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી વાતો કે અફવા ફેલાવવી નહીં. તેણે વધુમાં કહ્યું હતું કે, મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.
