શ્રમિકનો દીકરો અને આરોપીની દીકરી ભાગી જતાં આધેડનુ અપહરણ કરાયું
યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઇ : ક્રાઇમ બ્રાંચે આરોપીઓને સકંજામાં લીધા
કુવાડવાના ખેરડી ગામની સીમમાં ભાગીયુ ખેત2 રાખી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના આધેડનું આ ગામમાં જ રફાળા રોડ પર ખેતર વાવતો મજૂર તેની પત્નિ સહિતના ચાર જણા બળજબરીથી અપહરણ કરી જતાં ચકચાર જાગી છે. એમપીના મજૂરનો 22 વર્ષનો દિકરો અને આરોપીની 19 વર્ષની દિકરી ગૂમ થઈ ગયા હોઈ જ્યાં સુધી આ બંને નહિ મળે ત્યાં સુધી તમારે અમારી સાથે રહેવું પડશે કહીને મજૂરનું અપહરણ કરી જવામાં આવતાં પરિવારજનો આકુળવ્યાકુળ થઈ ગયા છે. આ અંગે પોલીસને જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓને સકંજામા લઇ પુછપરછ શરુ કરી હતી.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે કુવાડવાના ખેરડી ગામની સીમમાં આવેલી અશોકભાઈ નરસીભાઈ લુણાગરીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ એમપી જાંબુઆના અબલાબેન થોમેસભાઈ માવી (ઉં.વ.39)ની ફરિયાદ પરથી ગોરધન ભુરીયા, તેની પત્નિ અને એક અજાણયા શખ્સ તથા એક અજાણી મહિલા વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અબલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ પતિ અને સંતાનો સાથે ખેરડી ગામે ભાગમાં ખેતી કરી ગુજરાન ચલાવું છું. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. ગત તા. 9/9ના અમે બધા ખેતરે સુઇ ગયા હતાં. 10મીએ સવારે જાગીને જોતાં મારો નાનો દિકરો કાંતુ જોવા મળ્યો નહોતો. તેને ફોન કરતાં ફોન પણ બંધ હતો. બાદમાં બપોરે બે વાગ્યે હું અને મારા પતિ તથા બીજો દિકરો સંજય અમે બધા ખેતરમાં મરચા વિણતા હતાં ત્યારે ખેતરનીબાજુના ભાગેથી ગરોધન ભુરીયા, તેની પત્નિ અને અજાણ્યા મહિલા તથા પુરૂૂષ આવ્યા હતાં. આ બધાએ મને મારા દિકરા કાંતુ વિશે પુછયું હતું.
અમારી બાજુનું ખેતર ગોરધન ભુરીયા વાવતો હોઈ જેથી અમે તેને ઓળખીએ છીએ. બાદમાં ગોરધને કહ્યું હતું કે મારી દિકરીને તમારો દિકરો કાંતુ લઈને ક્યાંક જતો રહ્યો છે, કાંતુ ક્યાં છે? જેથી અમે કહેલુ કેતે સવારનો અમને પણ મળતો નથીઅને ફોન પણબંધ આવે છે. આથી ગોરધન અને તેની પત્નિએ કહેલું કે જો તમારો દિકરો પાછો નહિ આવે તો અમે તમારા પતિને સાથે લઈ જઈશું. જેથી મેં કહેલુ કે મારા પતિને તમે લઈજશો તો અમે કઈ રીતે તમારી દિકરી અને મારા દિકરાને શોધવા જઈશું? આ સાંભળી ગોરધન સહિતના બળજબરીથી મારા પતિને મોટરસાઈકલમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતાં.
આ પછી અમે મારા પતિને શોધવા ગોરધન જ્યાં વાડી વાવે છે ત્યાં તથા આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ મારા પતિની ભાળ મળી નથી. આ પછી મેં મારા જમાઈ વિપુલ કીલુભાઈ ભુરીયા, સંબંધી કમલેશભાઈ હટીલા સહિતને જાણ કરતાં તેણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. મારો દિકરો કાંતુ નજીકમાં વાડી વાવતાં ગોરધન ભુરીયાની દિકરીને લઈને જતો રહ્યો છે તેવી શંકા રાખી ગોરધન, તેની પત્નિ સહિતના મારા પતિને ઉઠાવી ગયા હોઈ અમે ફરિયાદ કરી હતી. તેમ અબલાબેને વધુમાં કહેતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઈ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામા ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ પરમાર અને સ્ટાફે આરોપીઓને સકંજામા લઇ પુછપરછ શરુ કરી છે.
