મે 7, 2025 ના રોજ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા અને માસૂમ બાળકી સહિત ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગુનાહિત બેદરકારી બદલ ફરાર ચાલી રહેલા જૂનાગઢ મહાનગરપાલિકા (ઉંખઈ)ના કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ મોડી રાત્રે જૂનાગઢ ડીએસપી કચેરી ખાતે આવીને સરેન્ડર કર્યું છે.
પ્રારંભિક તપાસમાં પોલીસે માત્ર જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી આટોપી લીધી હતી.જોકે મૃતકોના પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા માટે ગુજરાત હાઈકોર્ટે પોલીસને આ મામલે યોગ્ય દિશામાં સઘન તપાસ કરવા માટે સૂચના આપી હતી. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે મહાનગર પાલિકાના વરિષ્ઠ અધિકારીઓની ભૂમિકા પર તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો,જેમાં કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલા અને આઉટસોર્સ વોર્ડ ઈજનેર વિવેક કાંચેલાનું નામ ખૂલ્યું હતું.
તપાસમાં સૌથી ગંભીર બેદરકારી એ સામે આવી કે, મનપા, પીજીવીસીએલ અને ગેસ એજન્સીના અધિકારી ઓનું એક સંયુક્ત યુટીલીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વોટ્સએપ ગ્રૂપ 2021થી કાર્યરત છે. નિયમ મુજબ, કોઈપણ ખોદકામની કામગીરી શરૂૂ કરતા પહેલા આ ગ્રૂપમાં તેની પૂર્વ સૂચના આપવી અનિવાર્ય છે, જેથી ભૂગર્ભમાં પસાર થતી ગેસ કે વીજળીની લાઈનનું ચોક્કસ લોકેશન જાણી શકાય.જોકે, ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ ઝાંઝરડા ચોકડી ખાતે ચાલી રહેલા ખોદકામની કોઈ જ માહિતી આ ગ્રૂપમાં આપી નહોતી. આ ગુનાહિત બેદરકારીના કારણે ખોદકામ કરનાર એજન્સીને ગેસ લાઈનનું સ્થાન નહોતું મળ્યું, પરિણામે જેસીબી ડ્રાઈવરે લાઈનને ડેમેજ કરી દીધી.
લીક થયેલો ગેસ આસપાસની દુકાનોમાં ફેલાયો અને સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ભયંકર અગ્નિકાંડ સર્જાયો, જેમાં ત્રણ લોકોના કરૂૂણ મોત નિપજ્યા હતા. પોલીસની સઘન શોધખોળની જાણ થતાં જ મૂળ વડોદરાના વતની એવા જયેન્દ્રસિંહ ઝાલા મહાનગરપાલિકામાંથી રજા મૂકીને ફરાર થઈ ગયા હતા.જોકે પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ ચાલુ હતી, ત્યારે મોડી રાત્રે પોલીસના દબાણ સામે ઝૂકીને કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ જાતે જ ડીવાયએસપી કચેરી ખાતે આવીને આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું છે.
