જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી જશે: કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને લઈને એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન…

જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને લઈને એક ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવા અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે આ મામલે પ્રક્રિયા ચાલી રહી છે અને જનતાને ખૂબ જ જલ્દી સારા સમાચાર સાંભળવા મળશે.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપવો એ એક સંવેદનશીલ વિષય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ લોકસભામાં આપેલા વચનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સરકાર તેના વાયદા પર અડગ છે અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને લોકોને તેમનો હક આપવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ’મને લાગે છે કે તમે આના પર ખૂબ જ જલ્દી કોઈ મોટો નિર્ણય સાંભળશો.’

ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટ 2019માં ભારત સરકાર દ્વારા બંધારણની કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, જેની સાથે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પણ ખતમ થઈ ગયો હતો. તે સમયે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોજમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. હવે મંત્રીના આ નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ ગઈ છે કે કાશ્મીરની જનતાને તેમનો રાજ્યનો દરજ્જો પાછો મળવાની ઘડીઓ ગણાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *