નવનીત બાલધીયાએ 15 પુરાવા રજૂ કર્યા બાદ નવાજૂનીના એંધાણ
કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની પૂછપરછ માટે SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલા SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસનો લઈ SIT ને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સપેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ હવે જયરાજ આહીરને આજે સાંજે સાડા પાંચ કલાકે SIT સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. જયરાજ આહીરની પૂછપરછ બાદ હુમલા કેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SIT ની રચના બાદ એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. શનિવારે બે પોલીસ ઈન્સપેક્ટરના નિવેદન લેવાયા બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.
SIT ની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે, તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું કે, સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે, આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.
બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી તે SIT ટિમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોંલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.
