‘જયા ટુકડો ત્યાં હરી ઢુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ આ સુત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિની આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. વીરપુર સહિતના જલારામ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં ભકતો બાપાના દર્શન માટે ઉમટી પડયા હતાં. જલારામ બાપાની જન્મ જયંતીને લઈને રઘુવંશી સમાજ દ્વારા ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટનાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે પણ સવારથી જ જલારામ બાપાના દર્શન કરવા ભકતોની લાંબી લાઈન લાગી હતી. તેમજ મંદિર ખાતે પણ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ શોભાયાત્રા, મહાપ્રસાદી, રકતદાન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ જલારામ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
