7 ટકા લોકોને માસિક ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી, લોકોની ખરીદીની પેટર્ન બદલાઇ
22 સપ્ટેમ્બરથી અમલમાં આવનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના નવા દરો ભારતમાં સામાન્ય પરિવારોના બજેટ પર સકારાત્મક અસર કરશે. PwC ના રિપોર્ટ મુજબ, GSTમાં ફેરફારથી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે, જેના કારણે ખર્ચનું સંચાલન સરળ બનશે. પરંતુ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશના 63 ટકા ગ્રાહકો વધતી મોંઘવારીથી ચિંતિત છે. તે જ સમયે, લગભગ 7% લોકો તેમના દૈનિક ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે 63 ટકા ગ્રાહકો ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી ચિંતિત છે. આ ફુગાવાનો સામનો કરવા માટે, લોકો તેમની આદતો બદલી રહ્યા છે. સર્વેમાં સામેલ 44 ટકા લોકો હવે જથ્થાબંધ વસ્તુઓ ખરીદી રહ્યા છે, જ્યારે એટલી જ સંખ્યામાં લોકો ઘરે શાકભાજી અથવા ખાદ્ય પદાર્થો ઉગાડી રહ્યા છે.
ખાદ્યપદાર્થોના ભાવોથી ચિંતિત લગભગ અડધા લોકો તેમની ખરીદીની પેટર્ન બદલી રહ્યા છે. તેઓ હવે વિવિધ દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે, ડિસ્કાઉન્ટ સ્ટોર્સ શોધી રહ્યા છે અથવા ઑફર્સ અને કૂપનનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેમનું બજેટ બગડે નહીં.
સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 32 ટકા ગ્રાહકો પોતાને આર્થિક રીતે સ્થિર માને છે, જ્યારે 7 ટકા લોકોએ કહ્યું કે તેમની નાણાકીય સ્થિતિ સારી નથી અને તેઓ બિલ ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાકભાજીના ભાવ અને ખાદ્ય ફુગાવાથી પરેશાન પરિવારો માટે GST દ્વારા આપવામાં આવેલી રાહત ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા GST નિયમોથી મળેલી બચત આ પરિવારોને થોડી રાહત આપશે અને તેમની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ કરશે.
22 સપ્ટેમ્બરથી, 4 ની જગ્યાએ, GST ના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી અને કાર જેવી સામાન્ય વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેરફારો તમારા ખિસ્સા પરનો બોજ ઘટાડશે. દૈનિક ઉપયોગની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને નાના વાહનો સસ્તા થશે. વ્યક્તિઓ, પરિવારો અને વૃદ્ધો માટે આરોગ્ય વીમા પર 18% કર દૂર કરવામાં આવ્યો છે. આનાથી વીમો સસ્તો થશે અને વધુ લોકો તે લઈ શકશે.
જો સિમેન્ટ પરનો કર 28% થી ઘટાડીને 18% કરવામાં આવતા તો ઘર બનાવવા અથવા સમારકામનો ખર્ચ થોડો ઓછો થશે. ટીવી, એર ક્ધડીશનર જેવી વસ્તુઓ પણ 28% થી 18% કર હેઠળ આવશે, જેનો અર્થ છે કે તે પણ સસ્તી થશે. 350 સીસી સુધીની નાની કાર અને મોટરસાયકલ પર હવે 28% ને બદલે 18% ટેક્સ લાગશે.
