અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગ બેનામી હિસાબી વ્યવહારોની બાતમીના આધારે ડોસાણી ગ્રૂપની અંદાજે 6 કંપનીઓમાં દરોડા પાડ્યા હતા. આઈ.ટી. વિભાગની ટીમોને તપાસમાં ઘણા ડેટા, વાંધાજનક દસ્તાવેજો, ઘરેણા, રોકડ મળી આવ્યા હતા. ટીમ સંપત્તિ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આવકવેરા વિભાગને હજુ વધુ બેનામી વ્યવહારો મળી આવશે તેવી સંભાવના છે.
મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં આવેલી ડોસાણી ગ્રૂપ કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. કોલસો, ન્યૂટ્રી ફૂડ સાથે જોડાયેલી ઓઈસ્ટર ઈન્ટરનેશનલ, ન્યૂટ્રી કિંગ્ડમ, બ્લેક ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડ સહિતની 6 જેટલી કંપનીઓ પર આઈ.ટી. વિભાગ ત્રાટ્ક્યુ હતું. હજુ પણ કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગને જાણવા મળ્યું છે કે ગ્રૂપના ડિરેક્ટરોની વિદેશોમાં પણ મિલકતો છે. કંપનીના અનામ ડોસાણી, મોહમ્મદમોસીન ડોસાણી, અલી અસગર ડોસાણી, ઝોહેબ અબ્બાસ ડોસાણી સહિતના ગ્રૂપ ડિરેક્ટરો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
થોડા દિવસો અગાઉ આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મોરબીના તિર્થક ગ્રુપ સોહમ કોલસા, રાધે ગ્રુપ ચાવડા ઈન્ફ્રા સહિત 35 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ અને કાર્યવાહી ચાર-પાંચ દિવસ સુધી ચાલશે તેવું આવકવેરા વિભાગના સૂત્રોનું માનવું હતું, પરંતુ ઈન્કમટેક્સ દ્વારા અચાનક તપાસ મોકૂફ રાખવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં અમદાવાદના રાધે ગ્રુપ અને ચાવડા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 700 કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
