ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે પિત્તો ગુમાવી ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે કરેલી ગાળાગાળીએ ચકચાર જગાવી છે. રમણલાલ વોરાએ પિત્તો ગુમાવીને કહ્યું કે હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી. આ ઉપરાંત વિવેક દેસાઈને ધમકી પણ આપી કે, હું નશાબંધી મંડળની ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ.
મળતી માહિતી અનુસાર, રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં કામ કરે છે. લલિત પરમાર ગમે તે કારણોસર છેલ્લા એક મહિનાથી નોકરી પર નહીં આવતા હોવાથી નશાબંધી મંડળે લલિત પરમારને ક્યાં કારણોસર નોકરી પર નથી આવતા એ અંગે સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો મંગાયો હતો. લલિત પરમાર નશાબંધી મંડળના કર્મચારી હોવાથી તેમણે આ નોટિસનો જવાબ આપવાની જરૂૂર હતી. પરંતુ તેના બદલે તેમણે પોતાન કાકા સસરા રમણલાલ વોરાને ફરિયાદ કરી દીધી.
આ ફરિયાદના પગલે રમણલાલ વોરાએ ગુરૂૂવારે (27મી ફેબ્રુઆરી) મોડી સાંજે વિવેક દેસાઈને ફોન કરીને દેસાઈ કોંગ્રેસી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આ પ્રકારની નોટિસ કઈ રીતે આપી શકાય એવો સવાલ પણ કર્યો હતો. વિવેક દેસાઈએ રમણલાલ વોરાને જવાબ આપ્યો હતો કે, ગુજરાત નશાબંધી મંડળ દ્વારા અપાયેલી નોટિસ સામે તેમને વાંધો હોય તો કોર્ટમાં જઈ શકે છે પણ નિયમ પ્રમાણે નોકરી પર ગેરહાજર રહેવા માટે કારણ આપવું જરૂૂરી છે.
આ સાંભળીને અકળાઈ ગયેલા રમણલાલ વોરાએ કહ્યું કે ગુજરાતમાં હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી. હું ધારું તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ. તને ખબર નથી કે તુ કોની સાથે વાત કરી રહ્યો છે અને હવે તુ પતી ગયો.