અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશન સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યુ છે.
ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓનું મનોબળ તોડવા માટે થોડીવારમાં તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.
આ મામલે પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, આરોપીઓએ રામોલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો અને રાહદારીઓેને ફટકાર્યા હતા. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
