મહારાષ્ટ્રના મહાબલેશ્વર નજીક મોટો અકસ્માત સર્જાયો હતો. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભયાનક અકસ્માત રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ રાયગઢના આંબેનલી ઘાટ પર સર્જાયો હતો. વાહનમાં સવાર તમામ મુસાફરો કોંકણ ક્ષેત્રમાં રજાઓ ગાળીને વહેલી સવારે સતારા પરત ફરી રહ્યા હતા; જોકે, આંબેનાલી ઘાટ પાર કરતી વખતે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને કાર સુધી ખીણમાં ખાબકી હતી.
આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ,રેસ્ક્યુ ટીમ સહિતની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ખીણ ખૂબ જ ઊંડી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી તપાસ શરૂ કરી હતી . અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમને આશરે 500થી 700 ફૂટની ઊંડાઈએથી 2 મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે. જ્યારે બાકીના મુસાફરોને શોધવા માટે હાલમાં મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓ સતારા, આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા.
