જામનગર શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત કરવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.આ રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સહકાર અત્યંત જરૂૂરી છે.
આરોગ્ય કર્મચારીઓ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તેમને પૂરો સહકાર આપવો જરૂૂરી છે. શહેરના નાગરિકોએ પોતાના ઘરમાં કેટલીક સાવચેતી રાખવી જરૂૂરી છે જેમ કે, જરૂૂરી પગલા, પાણી ભરેલા તમામ વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા. પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. પાણીનો નિકાલ: છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો. અગાસી, નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો.મચ્છરોથી બચો: મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો.
મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરો. સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે. તાવ આવે તો તુરંત ડોક્ટરને બતાવો: તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરો.