મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નંદુરબાર જિલ્લામાં ગુજરાતીઓની કારને અકસ્માત નડ્યો છે. કાર ખીણમાં ખાબકતાં 3 લોકોના મોત થયાં છે. અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.કારમાં સવાર તમામ લોકો દેડિયાપાડાનાના રહેવાસીઓ છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા, કંકાલા અને પાનસર ગામના 8 લોકો ઈકો કારમાં મહારાષ્ટ્રના મોલગી વિસ્તારમાં ભજન કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મોલગી વિસ્તાર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર જંગલની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં દેડિયાપાડાના પાનસરના ત્રણ વ્યક્તિના મોત થયાં હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની યાદી
1મોહનભાઈ બામણીયા વસાવા (ઉં.વ. 39, પાનસર)
૨ જીવણદાસ સૂરદાસ વસાવા (ઉં.વ. 40, કંકાલા)
૩ સુભાષભાઈ ફુલજીભાઈ (ઉં.વ. 48, રૂપઘાટ, નેત્રંગ)
