ઉમેદવારનો જવાબ સાચો કે GPSC નો? કોર્ટરૂમમાં ઉગ્ર દલિલો બાદ તા.20 સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટે GPSC ને એક સવાલના જવાબને લઈ બરાબરની ખખડાવી કહ્યું હતું કે, ’GPSC જિદ્દી અને અહંકારી છે. ગયા અઠવાડિયે હાઈકોર્ટે ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915માં પ્રકાશિત થયેલ પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂૂમમાં થયેલી ઉગ્ર દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.
આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે GPSC ના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી જ બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ કે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે.
એક ઉમેદવાર જે ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે લાયક ઠરવામાં માત્ર એક ગુણ માટે પાછળ રહી ગઈ હતી, તેણે GPSC ની સત્તાવાર આન્સર-કીને પડકારી હતી. તેણીએ દલીલ કરી હતી કે આન્સર-કીમાં આપવામાં આવેલો જવાબ ખોટો હતો. આપવામાં આવેલા વિકલ્પો આ મુજબ હતા. અ:માત્ર એક, ઇ:માત્ર બે, એક અને બે બંને અને ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે ’ઈ’ પસંદ કર્યો હતો, પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો.
ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC આ વાત સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે.
સોમવારે GPSC તે આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી. જો કે GPSC એ જણાવ્યું કે તે PDFના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSC ની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો.
કોર્ટે વધુમાં પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો સદીઓ જૂના પુસ્તકોનો સંદર્ભ લેશે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? કોર્ટે GPSC પાસે 20 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો હતો કે શું અર્થશાસ્ત્ર જાહેર જનતા માટે વ્યાપકપણે ઉપલબ્ધ છે અને જો હાર્ડ કોપી અસ્તિત્વમાં હોય તો પ્રશ્ન પસંદ કરવા માટે કઈ ચોક્કસ આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિશ્ર્વસનીયતા પર સવાલ
કોઈ મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા કોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એક એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ફિઝિકલ કોપી ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી? જો આવી પ્રથા માન્ય હોય, તો એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
